ગુજરાતી સાહિત્યનો છંદ
.
મારાં પ્રાથમિક શાળાનાં અભ્યાસનાં એ વર્ષો.
મારા બે મોટા ભાઈઓ એચ. કે. આર્ટસ કોલેજમાં અભ્યાસ કરે.
એચ. કે. એટલે ભારે પ્રતિષ્ઠિત કોલેજ ગણાતી. ચીનુભાઈ નાયક સાહેબના નિષ્ઠાવાન પાયારુપ ઘડતર વિષે કહેવાનું રહે?
તે સમયે એચ. કે.માં પ્રિન્સિપાલ યશવંત શુકલ સાહેબ. શુકલસાહેબની વિદ્વતા, વ્યક્તિત્વ અને ધારદાર વાણી – ત્રણેય ગુણ તેમને આદર્શ પ્રિન્સિપાલ બનાવવા પૂરતા હતા.
અન્ય પ્રોફેસર્સ પણ એવા જ વિદ્વાન. વિદ્યાર્થીઓ સાથે પ્રોફેસર્સના આત્મીય સંબંધો. કોલેજની ભારે નામના.
મારા બંને ભાઈઓને શુકલસાહેબ સાથે વ્યક્તિગત પરિચય. કેટલાક પ્રોફેસર્સ સાથે તો અંગત સંબંધ. ઘરોબો પણ ખરો.
તે જમાનામાં સ્કુટરની સાહ્યબી કેટલા પ્રોફેસર પાસે? બસમાં અથવા સાયકલ પર ફરતા સાહેબો. વિના સંકોચે સાયકલ પર બેસીને ઘેર આવે! અમે નાના ભાઈઓ હોંશે હોંશે ગુરુ-શિષ્યની જ્ઞાનભરી વાતો સાંભળીએ.
બે મોટા ભાઈઓ પૈકી આજે સૌથી મોટા ભાઈની વાત કરું.
તેમના વર્ગ સહાધ્યાયીઓ પણ ચુનંદા. વર્ગમાં ચાર મિત્રોનું પ્રખ્યાત ગ્રુપ – ભાઈ અને ત્રણ મિત્રો.
ભાઈના ત્રણ ખાસ મિત્રો પ્રતિષ્ઠિત કુટુંબોમાંથી આવે. એક મિત્ર ગુજરાતી ભાષાના કાવ્યજગતના શિરોમણિ, ગણમાન્ય કવિ ઉમાશંકર જોષીના ભત્રીજા અને બીજા મિત્ર ગુજરાતી સાહિત્યજગતમાં આદરણીય “મહારાષ્ટ્રીયન-ગુજરાતી” સાક્ષર ગોપાળરાવ વિદ્વાંસના પુત્ર. ત્રીજા મિત્ર ગુજરાતના કલાક્ષેત્રના સુપ્રતિષ્ઠિત કલાકાર કનુ દેસાઈના કુટુંબના સભ્ય.
અઠવાડિયામાં એક કે બે વાર આ મિત્રો અમારે ત્યાં હોય જ. ચારે ય મિત્રો ભેગા થઈને હાસ્યની છોળો ઉડાડતા હોય. જાત જાતના વિષયો પર ચર્ચા થતી હોય. નવરચિત ગુજરાત રાજ્ય અને દેશ-દુનિયાની નવાજૂનીથી લઈને સાહિત્ય જગતની ચર્ચાઓ હોય.
મને તેમની સાહિત્ય વિષયક ચર્ચાઓમાં ભારે રસ પડતો. હું રસપૂર્વક તેમની વાતો સાંભળતો.
પહેલી વાર મહાકવિ કાલિદાસથી લઈને કનૈયાલાલ મુનશી અને ઉમાશંકર જોષી અને વિ. સ. ખાંડેકર વિશે જાણ્યું.
કુમારસંભવમ, પાટણની પ્રભુતા અને યયાતિ જેવી કૃતિઓ વિષે જાણ્યું. હું સાહિત્ય પ્રત્યે આકર્ષિત થતો ગયો.
ગુજરાતી સાહિત્ય ઘણું મીઠું લાગવા લાગ્યું. ગુજરાતી સાહિત્ય એટલે જ જાણે જીવનરસ એમ લાગવા લાગ્યું.
બંને મોટા ભાઈઓનો ઋણી છું. ભાઈના મિત્રોનો ય આભારી છું. સૌને વંદન!
તેમના લીધે તો ગુજરાતી સાહિત્યનો છંદ લાગ્યો!
2 comments April 30, 2007