કુમળી વયે સાહિત્યનું રસપાન
May 31, 2007
.
મારા સૌથી મોટા બે ભાઈઓની વાત હું કરી રહ્યો છું.
બંને ભાઈઓ એચ. કે. માં ભણ્યા. સૌથી મોટા ભાઈની વાત આગળ કરી.
આજે તેમનાથી નાના(બીજા નંબરના) ભાઈની વાત કરું. કોલેજમાં ભાઈને કનૈયાલાલ મુનશીની ગુજરાતનો નાથ નવલકથા અભ્યાસક્રમના ભાગ રૂપે હતી.
હું ચોથા ધોરણમાં. વેકેશન પડ્યું અને ભાઈએ મારા હાથમાં ગુજરાતનો નાથ મૂકી.
પ્રથમ પ્રકરણમાંજ એવો રસ પડ્યો કે સાડાપાંચસો પાનાંની દળદાર ઐતિહાસિક નવલકથા સાત-આઠ દિવસમાં પૂરી કરી.
ગુજરાતી સાહિત્યનું આ મારું પ્રથમ રસપાન. સિદ્ધરાજ અને મુંજાલનાં પાત્રોએ મારા બાળ મનને આકર્ષી લીધું. કાક અને મંજરીનો પ્રેમ પણ સ્પર્શી ગયો …
પછી તો સાહિત્યનું ઘેલું લાગ્યું. ભાઈએ ઝવેરચંદ મેઘાણીની સૌરાષ્ટ્રની રસધાર મૂકી. ખૂબ જ મઝાથી વાંચી. કાઠિયાવાડી પ્રયોગોના અર્થ ન સમજાય તે બાને પૂછતો જાઉં. બા પૂરો પ્રસંગ સમજાવી અર્થ સ્પષ્ટ કરે. લોકસાહિત્યનો રંગ લાગ્યો!
તે પછી ભાઈએ આપી પ્રેમચંદજીની ગોદાન. (ગુજરાતી અનુવાદ) પ્રેમચંદજીની ગોદાન એટલે હિન્દી ભાષાના સાહિત્યની શિરમોર નવલકથા. ગોદાનની કથાની કરુણતા હૃદયને ભીંજવી ગઈ.
નવેક વર્ષના કુમળા બાળમાનસને વિકસતાં વેંત જ સાહિત્યની શ્રેષ્ઠ કૃતિઓનો પરિચય થાય, પછી વાત જ શું કરવી!
મારો સાહિત્યપ્રેમ જાગ્યો તે ભાઈને કારણે. આજે તે ભાઈ નથી.
સ્વર્ગવાસી ભાઈને પ્રેમપૂર્વક શ્રદ્ધાસુમન અર્પું છું. શત શત પ્રણામ!
Entry Filed under: સંસ્મરણો. .
1 Comment Add your own
Leave a Comment
Some HTML allowed:
<a href="" title=""> <abbr title=""> <acronym title=""> <b> <blockquote cite=""> <cite> <code> <pre> <del datetime=""> <em> <i> <q cite=""> <strike> <strong>
Trackback this post | Subscribe to the comments via RSS Feed
1.
Jugalkishor | June 15, 2007 at 3:24 pm
માતા,પીતા કે બંધુ પણ ક્યારેક કોઈ ક્ષણે એકાદ એવી પ્રવૃત્તી કરી બેસે છે, જેની લાંબે ગાળે થનારી અસરોની કોઈ કલ્પના જ એમને ન હોય. ગાંધીને ઓચીંતા જ વાંચવા મળેલા રસ્કીનના પુસ્તકે કેવો ચમત્કાર સર્જ્યો !
મોટાભાઈએ ફક્ત એક નવલકથાને ખોળામાં નાંખીને કેવી મોટી કામગીરી કરી આપી !! એ એક કામગીરીએ, હા એણે જ એક નવી દીશા ખોલી આપી અને આજનું તમારું સાહીત્યનું વીશ્વ ભર્યું ભર્યું કરી મુક્યું.
એ ક્ષણને ય વંદના ઘટે છે.