Archive for June, 2007
લો! હવે પાક્કી ઓળખાણ!
.
કેટલાક મિત્રો અતિ ઉત્સુક થઈ ગયા છે.
તેમની ઉત્સુકતા કેવી છલકાઈ રહી છે! મને કેટલાક ઈ-મેઈલ મળ્યા છે જેમાં પ્રશ્નો ઉઠાવાયા છે કે હું જે નવા વિસ્તારની, સ્ટેડિયમની, સોસાયટીની, શાળાની વાતો લખી રહ્યો છું તે કલ્પિત તો નથી?
મિત્રો! તમારી જિજ્ઞાસાને સલામ. ચાલો, તમને તે જાણવામાં જરૂર રસ પડશે ..
જે વિસ્તારનું મેં વર્ણન કર્યું તે નવરંગપુરામાં સરદાર પટેલ સ્ટેડિયમ વિસ્તાર. મારી બાળ-આંખો સમક્ષ, અમારા ઘરની પડોશમાં સ્ટેડિયમે આકાર લીધો. આ જ સ્ટેડિયમ પર દિલીપ સરદેસાઈ, વેંકટ, હનુમંત, અશોક માંકડથી લઈ હનીફ મહમદ પણ આવી ગયા.
મારા બાળપણમાં અમારી સોસાયટીમાં કેટલાક પ્રતિષ્ઠિત મહાનુભાવો રહી ગયા. ગુજરાત જ નહીં ભારતભરમાં આઈસક્રીમનું નામ ગુંજતું કરનાર કુટુંબ અહીં સમૃદ્ધિ પામ્યું. લેખક શ્રી પ્રબોધ ચોકસી, આકાશવાણી ક્ષેત્રે મોટા ગજાના અધિકારી શ્રી કમલેશ ઠાકર, આઈ.આઈ.એમ.ના પ્રો. ધીરુભાઈ દેસાઈ, ગુજરાત કોલેજના પ્રોફેસર ચારી (શ્રી માધવસિંહ સોલંકી કોલેજકાળમાં તેમના શિષ્ય હતા) અહીં રહ્યા. મને આછો આછો ખ્યાલ આવે છે કે શ્રી રઘુવીર ચૌધરી પણ અમારી સોસાયટીમાં થોડો સમય રહેલા.(તેમને રૂબરૂમાં પૂછવાનું રહી જાય છે. હવે પૂછી જ લઈશ)
અને મારી સ્કૂલનો પરિચય?
તે સ્વસ્તિક શિશુવિહાર હાઈસ્કૂલ. મૂળ સંચાલક શ્રી દિનેશ ઠાકોર. અમે તેમને દિનુભાઈના નામથી ઓળખતા. બીજા વિશ્વયુદ્ધના સમયે દિનુભાઈ “બાલજગત” નામક રોચક બાળસામયિક ચલાવતા. મારી પાસે બાલજગતનો 1941નો એક યાદગાર અંક પણ સચવાયેલ છે. સ્વસ્તિક શિશુવિહાર બાળકેળવણીના પાયાના સિદ્ધાંતોને મૂર્તિમંત કરતી સ્કૂલ.
સ્વસ્તિકના ભૂતપૂર્વ વિદ્યાર્થીઓમાં ગુજરાતી કવયિત્રી સુશ્રી સ્વરૂપ ધ્રુવ, આકાશવાણીના તુષાર શુકલ અને મોરપિચ્છના અમારા દોસ્તો શ્યામલ-સૌમિલ. સ્વસ્તિકના એક ભૂતપૂર્વ વિદ્યાર્થી નવરંગપુરાની જાણીતી હોટલના માલિક છે. મારાથી જૂનિયર તેવા બે વિદ્યાર્થી ભાઈઓનું કુટુંબ અમદાવાદના જાણીતા વર્તમાનપત્રનું પ્રકાશન-સંચાલન કરે છે. બીજા મિત્રો પણ બહુવિધ ક્ષેત્રોમાં આગળ વધ્યા છે.
ચાલો, હવે તો ઓળખાણ ઓર પાક્કી, મિત્રો!
1 comment June 30, 2007