Archive for January, 2009
શાળાની પ્રાર્થનાસભા
.
શાળાજીવનનું એક સુખદ સ્મરણ શાળાની પ્રાર્થનાસભાનું છે.
ગ્રાઉન્ડફ્લોર પર, કંપાઉંડમાં શાળાના મકાનને અડીને ઓપન-એર છતાં ઉપરથી કવર્ડ એવું પ્રાર્થનામંદિર હતું. રોજ સવારે પ્રાર્થનાસભાથી શાળાના કાર્યનો આરંભ થતો.
સામાન્ય રીતે આટલો રોજિંદો કાર્યક્રમ – પ્રાર્થના, એક-બે ગીત કે ભજન, આચાર્યશ્રી દિનુભાઈ સાહેબ દ્વારા સમાચાર/જાહેરાત અથવા પ્રાસંગિક પ્રવચન અને છેલ્લે મૌન. રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીજીને પ્રિય પ્રાર્થના “સત્ય અહિંસા ચોરી ન કરવી . . .” અમને પણ ખૂબ ગમતી. ભગવદ ગીતાના બીજા અધ્યાયના સ્થિતપ્રજ્ઞના લક્ષણો પરના કેટલાક શ્લોકોનો ગુજરાતી અનુવાદ ત્યારે અડધો-પડધો સમજાતો; યુવાન વયે તે સમજાયો ત્યારથી તે શ્લોકો હૃદયસોંસરવા ઉતરી ગયા છે – “સમાધિમાં સ્થિતપ્રજ્ઞ જાણવો કેમ કેશવ ..”
સંગીત શિક્ષક કેશુભાઈ પરમાર સાહેબ સુંદર ગીતો ગાતાં અને ગવડાવતાં- ‘વન વન આંકો નૂતન કેડી’, ‘તું તારા દિલનો દીવો થાને’થી માંડી કબીર સાહેબનાં ભજન ‘ભેદ ન જાને કોય; સાહેબ તેરો ભેદ ન જાને કોય’ હૃદયપટ પર અંકિત છે. ક્યારેક પ્રાર્થના સભામાં વિશેષ દિવસો પર વિશેષ ભાવના ગીતો ગવાતાં જેમકે દેશભક્તિનાં ગીતો. કદી કદી નાટક આદિ પ્રવૃત્તિ થતી.
વર્ષમાં બે-ત્રણ વખત વિવિધ ક્ષેત્રના સુપ્રતિષ્ઠિત આગેવાનોને પણ આમંત્રણ અપાતાં. યાદ રહેલાં કેટલાંક મહાનુભાવોમાં રવિશંકર મહારાજ તથા કનુ દેસાઈ સ્પષ્ટ યાદ છે.
રવિશંકર મહારાજનું આડંબરવિહોણું સરળ વ્યક્તિત્વ તેમજ તદ્દન સાદા શબ્દો અને તળપદી બોલીમાંથી ટપકતી નિખાલસતા કદી નહીં ભૂલાય. જૈફ વયે પહોંચેલા કનુ દેસાઈએ એવી તો સ્ફૂર્તિથી ચિત્રો આલેખ્યાં હતાં કે અમે જોતાં જ રહી ગયેલાં! શાળાની પ્રાર્થના સભાની સુવાસ આજે અંતરે છલકાય છે.
Add comment January 11, 2009