Archive for September, 2009
અમદાવાદ, એએમટીએસ અને પાંચ પૈસાની બસ ટિકિટ
.
નવરંગપુરાનો અમારા તરફનો વિસ્તાર તે સમયે હજી નવો વિકસતો હતો. સરદાર પટેલ કોલોની સુધી જ પાકો રોડ. નારણપુરા તરફના વિસ્તારો હજી વિકસ્યા ન હતા, તો તે તરફ પાકા રોડ ક્યાંથી હોય?
અમારા વિસ્તારને અમદાવાદ મ્યુનિસિપલ ટ્રાંસપોર્ટ સર્વિસ (એએમટીએસ) ના બે બસ રૂટ મળેલા – લાલ દરવાજાથી સરદાર પટેલ કોલોની માટે 14/બી નંબરની બસ; કાળુપુર સ્ટેશનથી સરદાર પટેલ કોલોની માટે 22 નંબરની બસ.
અમારા માટે – બાળકો માટે લાલ દરવાજા કે સ્ટેશન જવા માટેની બસ ટિકિટ માત્ર પાંચ પૈસાની! હકીકતમાં, એએમટીએસના કોઇ પણ રૂટ પર અમદાવાદ શહેરમાં માં ક્યાંય પણ મુસાફરી કરવા માટે બાળકોની ટિકિટ માત્ર પાંચ પૈસાની રહેતી.
એએમટીએસની બસોનો રંગ લાલ હતો; તેથી સૌ તે બસોને “લાલ બસ” તરીકે જ ઓળખતા. 14/બી નંબરની બસ લાલ દરવાજાથી મિરઝાપુર, રેંટિયાવાડી, દિલ્હી દરવાજા, શાહપુર, ગાંધી બ્રિજ, ઇંકમટેક્સ ઓફિસ થઈ હાલના સ્ટેડિયમ સર્કલ પાસેથી વળીને સરદાર પટેલ કોલોની જતી. ત્યારે હજી સરદાર પટેલ સ્ટેડિયમની જગ્યાએ ટેકરીઓ હતી; સરદાર સ્ટેડિયમના નિર્માણનો હજી માંડ આરંભ થયો હતો લાલ દરવાજા જવા માટે નહેરુ બ્રિજ પણ નહોતો બન્યો. થોડા સમય પછી એએમટીએસની બસ સર્વિસનો વ્યાપ વધ્યો. સરદાર પટેલ કોલોનીથી લાલ દરવાજા માટે 62 તથા સ્ટેશન માટે 66 નંબરના રૂટ બન્યા.
ભારતના પ્રથમ વડાપ્રધાન પંડિત જવાહરલાલ નહેરુના હસ્તે તત્કાલીન અમદાવાદના ગૌરવ સમા નહેરુ બ્રિજનું ઉદઘાટન થયું અને અમને 63 નંબરનો લાલ દરવાજા વાયા નહેરુ બ્રિજનો રોયલ બસ રૂટ મળ્યો.
1 comment September 20, 2009