અમદાવાદના ઝૂલતા મિનારા
.
અમદાવાદ શહેરના વારસાનાં પ્રતીકો પર જાળાં બાઝી રહ્યાં છે.
‘હેરિટેજ’ વિશે વિદેશીઓ અને વિદેશી સંસ્થાઓનો રસ ફૂટતો રહે છે; તે ‘ઇમ્પોર્ટેડ’ રસ અમદાવાદીને, ગુજરાતીને, સરકારી સંસ્થાઓને ક્યારેક ‘વોક’ કરાવવા ય લાગે છે. પણ વળી ઠેરના ઠેર!
પિત્ઝા ખાતાં ખાતાં અમદાવાદી ઇટલી અને પિઝાના ઢળતા મિનારાની વાતો તો કરી શકે છે, પણ સામે ઊભેલા ઝૂલતા મિનારા વિશે બે શબ્દો બોલી શકતો નથી!
મારી આંખોમાં શાળાજીવન ખડું થાય છે.
કદાચ ત્રીજા ધોરણનો એ યાદગાર દિવસ. સ્કૂલમાંથી અમને ઝૂલતા મિનારા જોવા લઈ ગયા હતા.
નાનાં નાનાં ગૃપ પાડી વારાફરતી ગૃપમાં મિનારાની ટોચે જવાનું.
ગોળફરતી, સાંકડી, અંધારી સીડી.
સંભાળીને એક એક પગથિયું ચઢવાનું. મિનારાની ટોચ પર નાનકડી પાળીવાળો ગોળાકાર ઝરૂખો. તેમાં ચાર હાથપગ ગોઠવી ગોઠણભેર થઈ જવાનું. બસ, અમે ઘોડા બની ઊભા રહ્યા; નીચેથી વ્યાયામ શિક્ષકની તૈયાર રહેવાની સિસોટી વાગી.
બે સશક્ત શિક્ષકોએ મિનારા હલાવવાશરૂ કર્યા. એક મિનિટ પછી મિનારા હલવા લાગ્યા!
અમે ઊંચાઈ પર હવામાં આમતેમ ઝૂલી રહ્યાં હતાં! ગતિને સમજવા સ્થિતિની સાપેક્ષતા ખપ લાગતી હતી. નીચે આસપાસની ધરતી સ્થિર હતી. એક ક્ષણ તો હૃદય થડકી ગયું. મિનારો પડી તો નહીં જાય!
કેવો રોમાંચક અનુભવ! અમદાવાદના ઝૂલતા મિનારાના વિસ્મય પર ધૂળ ચઢતી જઈ રહી છે.
નવી પેઢીની આંખો ઘડીની ફ્લેશમાં ચમકવા જ સર્જાતી લાગે છે. આંખ ઠારીને, હૃદય ભરીને જોવા-માણવાની કલા તેમની પાસે છે ખરી? કદાચ દ્રષ્ટિ છે, કલા પણ છે, પરંતુ ફુરસત નથી.
વાંક આપણો છે. આપણે સંસ્કૃતિને એ સ્તર પર લાવીને મૂકી છે. આપણે જ દુનિયાને દોડતી કરી મૂકી છે. નવી પેઢીનો શું વાંક?
2 comments May 31, 2008