.
1962નો ઓક્ટોબર માસ. ભારત પર ચીનનું આક્રમણ.
શાળાજીવનનું એક અમૂલ્ય સંભારણું તે ભારત-ચીન યુદ્ધ.
તદ્દન કુમળી વયે અમારી ભાવનાઓ પર કુઠારાઘાત થયો. મિત્ર જેવો પાડોશી આવો વિશ્વાસઘાતી હોઇ શકે?
ચીનના અણચિંતવ્યા, નિર્લજ્જ આક્રમણની વાતોથી છાપાં ભરાતાં. ક્યાંક ભારતીય સૈન્યની વીરતાનું પ્રદર્શન ઝલકતું. બાકી ભારતીય વિસ્તારોમાં પીછેહઠ અને નાલેશીની વાતો હતોત્સાહ કરતી.
આવા નિરાશાભર્યા સંજોગોમાં સમગ્ર દેશમાં કેટલાંક પરિબળો જાન ફૂંકતાં રહ્યાં. વર્તમાનપત્રો, રેડિયો, નેતાઓ, કવિઓ, સર્જકો, શાળા-કોલેજો દ્વારા સૌને પાનો ચઢાવી દે તેવાં પ્રયત્નો થતાં રહ્યાં.
કેટલીક બાબતો સ્મૃતિમાં જડાઈ ગઈ છે. એક તો, નાગરિક જાગરૂકતા.
અમારી શાળામાં અમને નાગરિક સંરક્ષણની તાલીમ આપવામાં આવી.
તેમાંની એક રસભરી કવાયત તે બોંબમારાથી બચવાની. અમે જુનિયર વિદ્યાર્થીઓ નાગરિકો બનતાં. સિનિયર્સ વળી સ્વયંસેવકો બનતાં. વ્યાયામ શિક્ષકો દુશ્મન ‘બોંબર મેન’ બનતાં. કાલ્પનિક દુશ્મન વિમાનો હુમલા માટે આવવાનાં હોય ત્યારે હવાઈ હુમલાની ચેતવણીરૂપ સાયરન તરીકે વ્યાયામ શિક્ષક વારંવાર સિસોટી વગાડતા. અમે નાગરિકો હાથ વડે આંખ-કાન ઢાંકી જમીન પર ઊંધા સૂઈ જતાં. બોંબર મેન વ્યાયામ શિક્ષક નાની લખોટીઓ રૂપી બોંબ અમારા પર ફેંકતાં. થોડી વાર પછી સબ સલામતની સાયરનરૂપ સિસોટી વાગતી. જેમને લખોટી વાગી હોય તેમણે ઘાયલ થઈ પડી રહેવાનું. બાકીનાં ઊભા થઈ જાય. સ્વયંસેવકો ઝોળી-સ્ટ્રેચર લઈ દોડતાં આવે, ત્યારે ઘાયલોને લઈ જવામાં અમે મદદ કરતાં.
અમારામાં યુદ્ધમોરચે લડ્યા જેટલું જોમ ઊભરાવા લાગતું.
તેમાં વળી આચાર્ય દિનુભાઈ સાહેબ જોશીલી જબાનમાં હાકલ કરે અને વ્યાયામ શિક્ષક સૂત્રોચ્ચાર કરાવે!
અમદાવાદમાં જ લડાખ હોય તો ચીનાઓને અબઘડી ચિત કરી દે તેવા શૂરવીરોમાં અમે રૂપાંતરિત થતાં. અમારો આ નવો શૂર-અવતાર અઠવાડિયા-પંદર દિવસ સુધી તો અવશ્ય ટકતો!!
.
nice article!
LikeLike